વીજ વાયરથી મોતના કેસમાં માતા-પિતાને વળતર આપવાનો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડની અપીલ ફગાવી
અમદાવાદ – વીજળીના ખુલ્લા વાયરોને કારણે 18 વર્ષના છોકરાના મોતના મામલે, ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે વીજ બોર્ડની ફરજ છે કે વીજ લાઇન ઝાડને ન સ્પર્શે એ માટે યોગ્ય પગલાં લે.
આ કેસમાં છોકરો ઝાડ નીચે ઊભો હતો અને ઢોર માટે છોડ કાપતો હતો ત્યારે વીજ લાઇનના સ્પર્શથી તેને કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતકના માતા-પિતાએ વિજ કંપની સામે વળતર માગી દાવો કર્યો હતો.
ટ્રાયલ કોર્ટે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડને રૂ. 6.25 લાખ વ્યાજ સહીત ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદા સામે વિજ કંપનીએ અપીલ દાખલ કરી હતી.
હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હેમંત એમ. પ્રચ્છકે સ્પષ્ટ કહ્યું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય યોગ્ય છે. વીજ કંપનીની બેદરકારીને કારણે વાયરો જમીનથી નજીક આવ્યા હતા અને ઝાડને સ્પર્શી રહ્યા હતા, જેના કારણે છોકરાનું મોત થયું.
હાઈકોર્ટના જણાવ્યા મુજબ, મૃતક દૂધ વેચીને દરરોજ ₹200 કમાતો હતો અને તેની માસિક આવક આશરે ₹6000 હતી. આને આધારે વળતર ગણતરી કરાયું છે.
કોર્ટે વિજ કંપનીની અપીલ ફગાવી અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. હવે કંપનીએ આ ચુકાદાની નકલ મળ્યા બાદ 8 અઠવાડિયામાં વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવાની રહેશે.
કેસનું નામ: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ. વિ. મીઠુભાઈ નાગેશી મહેશ્વરી અને અન્ય
કેસ નંબર: R/First Appeal No. 470 of 2012